Republic Day - 2019

03 January 2019

હરિપ્રસાદ શાસ્ત્રી



 હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી (૧૭-૧૦-૧૯૧૯): ચરિત્રલેખક, સંશોધક, સંપાદક. જન્મ પેટલાદ જિલ્લાના મલાતજ ગામે. છ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મલાતજમાં. માધ્યમિક શિક્ષણનાં આરંભનાં ત્રણ વર્ષ ત્યાંની એ.વી. હાઈસ્કૂલમાં. ત્યાર બાદ મેટ્રિક સુધીનું શિક્ષણ જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં. ૧૯૩૬માં મેટ્રિક. ૧૯૪૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૨માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના સંશોધન વિભાગમાંથી સંસ્કૃત, અર્ધમાગધી અને વૈકલ્પિક અભિલેખવિદ્યા (એપિગ્રાફી) વિષયોમાં એમ.એ. ૧૯૪૭માં ભો. જે. વિદ્યાભવનમાંથી સંસ્કૃત વિષયમાં પી.એચ.ડી. ૧૯૪૫થી ૧૯૫૬ સુધી ત્યાં અધ્યાપક અને ૧૯૫૬થી ૧૯૬૮ સુધી ઉપાધ્યક્ષ તથા ૧૯૬૮થી ૧૯૭૯ સુધી અધ્યક્ષ. પછી નિવૃત્તિ. વચ્ચે, ૧૯૫૮-૬૧ દરમિયાન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી સંશોધક. ૧૯૫૭-૫૮માં બુધ્ધિપ્રકાશના સંપાદક. ૧૯૬૦-૬૨માં ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૬૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદસુવર્ણચંદ્રક. ૧૯૭૫નો કુમારચંદ્રક.

સંશોધનની શાસ્ત્રીય પદ્ધતિ અને દૃષ્ટિ સાથે પ્રવૃત્ત આ લેખકનું ઇતિહાસ, સંસ્કૃતિ અને સમાજને અનુષંગે થયેલું સાહિત્યપ્રદાન વિશિષ્ટ છે.

સૌજન્ય : gujaratisahityaparishad