Republic Day - 2019

03 January 2019

હરિવલ્લભ ભાયાણી



 હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી (૨૬-૫-૧૯૧૭, ૨૫-૩-૨૦૦૬): સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક. જન્મ ગોહિલવાડના મહુવામાં. ૧૯૩૪માં મહુવાની એમ. એન. હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ. એ. ૧૯૫૧માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણવિષયક મહાકાવ્ય પઉમચરિયપર મહાનિબંધ દ્વારા પીએચડી. ૧૯૪૫થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં સંશોધકઅધ્યાપક. ૧૯૬૫થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવન સાથે સંલગ્ન. ૧૯૭૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યારબાદ લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક. ૧૯૮૦માં ઈન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર. ૧૯૬૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ભાષાસાહિત્યની લાંબી પ્રણાલીનો પરિષ્કૃત રૂચિવારસો અને પશ્ચિમના ભાષાવિજ્ઞાન તેમ જ આધુનિક વિવેચનસંપ્રદાયોની અભિજ્ઞતા એમની ભાષા-વિચારણાને અને સાહિત્યવિચારણાને એક સમતુલ પરિપ્રેક્ષ્ય આપે છે. સાથે સાથે એમનાં સંશોધન-સંપાદનમાં રહેલી ઝીણવટ, વ્યવસ્થિતતા અને શાસ્ત્રીયતા એમની વિદ્વતાને પ્રમાણિત કરે છે.

સૌજન્ય : gujaratisahityaparishad