Republic Day - 2019

03 January 2019

ભૃગુરાય અંજારિયા



 ભૃગુરાય દુર્લભજી અંજારિયા (૬-૧૦-૧૯૧૩, ૭-૭-૧૯૮૦): સાહિત્યસંશોધક, વિવેચક. જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તેથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતા-પિતાના અવસાનને કારણે મેટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે ૧૯૩૫માં બી.એ. એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ મુંબઈમાં કર્યો, પણ પરીક્ષા અધૂરી છોડી. પીએચ.ડી. માટે કવિ કાન્ત વિશે ઊંડો અભ્યાસ કર્યો, પરંતુ એ કામ પણ અધૂરું મુકાયું. તબિયતને કારણે થોડાં વર્ષ જેતપુરમાં રહી રાષ્ટ્રસેવાનાં કામો કર્યાં અને થોડાં વર્ષ પીએચ.ડી.ના અભ્યાસ માટે અમદાવાદમાં રહ્યા, તે સિવાય મુંબઈમાં જ નિવાસ. ખાનગી ટ્યુશનો, ચિલ્ડ્રન્સ અકેડમી અને ફાર્બસ ગુજરાતી સભામાં અનુક્રમે મંત્રી તથા ત્રૈમાસિકના તંત્રી તરીકે કામગીરી અને અધ્યાપનકાર્ય એમ વિવિધ પ્રકારની ને વિક્ષેપભરી વ્યાવસાયિક કારકિર્દી. ૧૯૭૭માં મુંબઈની મીઠીબાઈ કૉલેજમાંથી અંગ્રેજીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા. અવસાન મુંબઈમાં.

જયંત કોઠારી અને સુધા અંજારિયા સંપાદિત એમના મરણોત્તર વિવેચનગ્રંથો કાન્ત વિશે’ (૧૯૮૩), ‘કલાન્ત કવિતથા બીજાં વિશે’ (૧૯૮૮) અને રેષાએ રેષા ભરી જ્ઞાનઝંખા’ (૧૯૭૭) એમ ચરિત્ર અને પત્રસાહિત્યરૂપે મળે છે. કાન્ત વિશેઅભ્યાસી ભૃગુરાયની, હકીકતોમાં રસ લેવાની, એ માટેની વિપુલ દસ્તાવેજી સામગ્રી અને સાધનોમાં ઘૂમી વળવાની અને ખરી હકીકત સુધી પહોંચવાની ખંત-તંતનો પરિચય કરાવે છે. રેષાએ રેષા ભરી જ્ઞાનઝંખાના પત્રવિનિમયમાં પણ ભૃગુરાયનાં સંશોધક રસરૂચિ અને સતર્ક નિરીક્ષણો પ્રગટ થાય છે. ઉમાશંકર જોશી સાથેનો સુદીર્ઘ પત્રવ્યવહાર આ સંચયનો મૂલ્યવાન ભાગ છે.

સૌજન્ય : gujaratisahityaparishad