Republic Day - 2019

03 January 2019

ભોળાભાઈ પટેલ



 ભોળાભાઈ શંકરભાઈ પટેલ (૭-૮-૧૯૩૪): નિબંધકાર, વિવેચક, સામયિક સંપાદક, અનુવાદક. જન્મ વતન સોજા(જિ.મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં પુન: એમ.એ. ૧૯૭૦માં અંગ્રેજી-ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં હિંદીમાં અજ્ઞેય: એક અધ્યયનવિષય પર પી.એચ.ડી. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૬૯થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના વ્યાખ્યાતા અને ૧૯૮૦થી રીડર. પછીથી હિંદી વિભાગના અધ્યક્ષ. ૧૯૯૪માં નિવૃત્ત. ૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો. ૨૫ વર્ષો સુધી પરબના તંત્રી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી.

પ્રવાસનિબંધોના લલિત નિરૂપણમાં એમણે પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળના સંવેદનોએ અંગત સંવેદનાઓની અર્થચ્છાયાઓ સુપેરે ઝીલી છે. અંગ્રેજી, જર્મન, હિંદી, મરાઠી, બંગાળી, ઓડિયા, અસમિયા વગેરે ભાષાસાહિત્યનો એમનો અભ્યાસ એમના વિવેચનને તુલનામૂલક તેમ જ આસ્વાદ્ય બનાવે છે. આસ્વાદલક્ષી વિવેચન એમનો વિશેષ છે.

સૌજન્ય : gujaratisahityaparishad