નલિન ચંદ્રકાન્ત રાવળ (૧૭-૩-૧૯૩૩): કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ
અમદાવાદમાં વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં.૭માં. માધ્યમિક શિક્ષણ
ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં. ૧૯૫૪માં મેટ્રિક. ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો
સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ભરુચ અને નડિયાદમાં થોડો સમય
અધ્યાપન કર્યા બાદ બી.ડી. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. ૧૯૯૩માં
નિવૃત્ત.
રાજેન્દ્ર - નિરંજનની અનુગામી પેઢીના સત્ત્વશાળી આ કવિ એમની
ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સન્દર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમાર
ને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે. અભિવ્યક્તિની સ્વતંત્ર શિસ્ત અને પ્રશિષ્ટ રંગદર્શિતા
એમની કૃતિઓની ઓળખ છે. ‘અશ્વત્થામાની
સ્વગતોક્તિ’ જેવા કાવ્યની
અછાંદસ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. મુખ્યત્વે કવિતાવિષયક એમનું વિવેચન પણ
નોંધપાત્ર છે.
સૌજન્ય : gujaratisahityaparishad
