નગીનદાસ નારણદાસ પારેખ, ‘ગ્રંથકીટ’ (૩૦-૮-૧૯૦૩, ૧૯-૧-૧૯૯૩):
વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ
તથા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા. ૧૯૨૧થી
૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠક પાસે
ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદાર પાસે બંગાળીનો અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના
વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન સેન શાસ્ત્રી પાસે બંગાળીનો તથા
રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ. ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન
નવજીવન પ્રકાશનમંદિરમાં કામગીરી. પછી ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે.
વિદ્યાભવનમાં અધ્યાપક. ૧૯૫૫થી ૧૯૬૯ સુધી હ.કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ત્યાંથી જ
નિવૃત્ત. ૧૯૭૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
નગીનદાસ પારેખની વિપુલ સાહિત્યસેવાનું વિશ્લેષણ કરીએ તો તેઓ
અનુવાદક, વિવેચક, ભારતીય
કાવ્યશાસ્ત્રના ગ્રંથોના જાણકાર, ગાંધીવિચારના ચિંતક, ચરિત્રલેખક અને સંશોધક – સંપાદક રૂપે ઉપસી
આવે છે. એમના જીવનમાં અને સાહિત્યઘડતરમાં એકબાજુ ગાંધીજી અને બીજી બાજુ
રવીન્દ્રનાથનો પ્રભાવ પડ્યો. પરિણામે ગાંધીજીની લાઘવભરી સરળ શૈલી અને રવીન્દ્રનાથની
સૌંદર્યદૃષ્ટિનું સંમિલન તેમની લેખનપ્રવૃત્તિમાં જોવા મળે છે.
સૌજન્ય : gujaratisahityaparishad
