Republic Day - 2019

04 January 2019

નાનાભાઈ ભટ્ટ



 નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ, ‘નાનાભાઈ ભટ્ટ’ (૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧): આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ(ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. મહુવાની હાઈસ્કૂલના આચાર્ય રૂપે નોકરીનો પ્રારંભ. ૧૯૦૮માં શામળદાસ કૉલેજમાં ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનનામની સંસ્થાની સ્થાપના. ૧૯૩૮માં આંબલા (સોનગઢ) ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ-કેળવણીના નૂતન પ્રયોગ ગ્રામ દક્ષિણામૂર્તિનામની લોકશાળાની સ્થાપના. આને પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ જન્મી અને ગ્રામ-કેળવણીમાં ક્રાંતિ થઈ. ૧૯૪૮માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં, શિક્ષણમંત્રી. ગાંધીજીના નિમંત્રણથી ૧૯૨૬ના અરસામાં સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક. ૧૯૫૩માં ગ્રામ ઉચ્ચ કેળવણીની સંસ્થા લોકભારતી(સણોસરા)ની સ્થાપના. ૧૯૫૪-૧૯૫૮ દરમિયાન રાજસભાના નિયુક્ત સભ્ય. કેળવણીપ્રદાન અંગે ૧૯૬૦માં પદ્મશ્રીનો ખીતાબ. લોકભારતી, સણોસરામાં અવસાન.

પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ તેમ જ કેળવણી અને ધર્મચિંતન વિશેનું સાહિત્ય એમનું મહત્ત્વનું પ્રદાન છે. સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય તેમના લખાણોની વિશેષતા છે. એમની પાસેથી નિખાલસ અને નિર્ભીક આત્મકથા ઘડતર અને ચણતરમળી છે.

સૌજન્ય : gujaratisahityaparishad