Republic Day - 2019

05 January 2019

પૂજાલાલ



 પૂજાલાલ રણછોડદાસ દલવાડી (૧૭-૬-૧૯૦૧, ૨૭-૧૨-૧૯૮૫): કવિ. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. વતન ખેડા જિલ્લાનું નાપા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને નડિયાદમાં. ૧૯૧૮માં મેટ્રિક. ઈન્ટર પછી અભ્યાસ છોડી દીધો. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબુભાઈ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર. ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામશિક્ષક. ૧૯૨૬થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.

શ્રી અરવિંદ જીવનદર્શનથી પ્રભાવિત પૂજાલાલની કાવ્યમાત્રા મુખ્યત્વે અધ્યાત્મના માર્ગે ચાલે છે. ઊર્ધ્વ જીવનની અભીપ્સા, દિવ્યને પામવાની ઝંખના અને પરમતત્ત્વ પ્રત્યેનો આરતભર્યો ભક્તિભાવ એમની કવિતાના વિષયો છે. સોનેટ તેમનો પ્રિય કાવ્યપ્રકાર છે. બ.ક.ઠાકોરની અર્થાનુસારી પ્રવાહી રચનારીતિનો સફળ પ્રયોગ તેઓ કરી શક્યા છે. પારિજાતબ.ક. ઠાકોરના પ્રવેશક સાથેનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે.

સૌજન્ય : gujaratisahityaparishad