Republic Day - 2019

04 January 2019

પ્રજારામ રાવળ



 પ્રજારામ નરોત્તમ રાવળ (૩-૫-૧૯૧૭, ૨૮-૪-૧૯૯૧): કવિ, અનુવાદક. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ. મેટ્રિક થઈ ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક. ૧૯૫૪થી ૧૯૭૨ સુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને એ પછી ૧૯૭૫ સુધી આચાર્ય. વ્યવસાયે વૈદ.

અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે. વિવિધ ઋતુઓ અને પ્રકૃતિના વિવિધ દૃશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે. ગીત, સોનેટ અને છંદોબદ્ધ રચનાઓમાં ગીતો વિશેષ નોંધપાત્ર છે.

સૌજન્ય : gujaratisahityaparishad