ભગવતીકુમાર હરગોવિંદ શર્મા (૩૧-૫-૧૯૩૪): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર-સંપાદક.
જન્મ સુરતમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૮માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ.
૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર’ દૈનિકના
તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૭૭માં કુમારચન્દ્રક. ૧૯૮૪નો રણજિતરામ સુવર્ણચન્દ્રક.
૧૯૮૭નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો
પુરસ્કાર.
કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર આ
સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે. નવલકથા લેખનમાં એમનો ઉર્ધ્વગામી વિકાસ
દેખાય છે. આ પૈકી ‘સમયદ્વીપ’માં બ્રાહ્મણ
કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્યસંઘર્ષ અને
મનોસંઘર્ષ કેન્દ્રમાં છે. ‘ઉધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ દીર્ઘ નવલકથાઓ
છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે.
સૌજન્ય : gujaratisahityaparishad
