Republic Day - 2019

03 January 2019

ભોગીલાલ ગાંધી



 ભોગીલાલ ચુનીલાલ ગાંધી, ‘ઉપવાસી’ (૨૬-૧-૧૯૧૧) : કવિ, સંપાદક, અનુવાદક. જન્મ મોડાસા(સાંબરકાંઠા)માં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદ, મોડાસા, મુંબઈ અને ભરુચમાં. ૧૯૩૦માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. વિદ્યાર્થીવયથી જ ગાંધીચીંધ્યા માર્ગે, જાહેરજીવનમાં પ્રવૃત્ત. સત્યાગ્રહોમાં એક અદના સૈનિક તરીકે સક્રિય. સાડાત્રણ વર્ષ જેટલા સમયની જેલસજાઓ. જેલવાસ દરમિયાન અનેક યુવાનોની જેમ માર્કસવાદી સાહિત્યનું વાચન અને એના પરિણામે રશિયન સમાજવાદનું આકર્ષણ. ૧૯૪૦માં ચુસ્ત સામ્યવાદી બન્યા. સુન્દરમના સહકારમાં અમદાવાદમાં અને ત્યાર બાદ મુંબઈમાં ગુજરાત પ્રગતિશીલ લેખકમંડળનું સંચાલન. ૧૯૪૯-'૫૧ના ગાળામાં અઢાર માસની જેલશિક્ષા પછી સામ્યવાદની અંધસાહસવાદી નીતિનું ભાન થતાં ૧૯૫૬માં પક્ષમાંથી રાજીનામું. વિનોબાજી, દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણ જેવા લોકસેવકોની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ પુન: ગાંધીચીંધ્યા માર્ગે. વિશ્વમાનવમાસિકનું સંપાદન, ‘વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટદ્વારા સંસ્કાર-ચિંતન-બોધ આપતાં પુસ્તકોનું પ્રકાશન તેમ જ જ્ઞાનગંગોત્રીગ્રંથશ્રેણીમાં મુખ્ય સંપાદનકાર્ય જેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત હતા.

તેમની પાસેથી કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન અને અભ્યાસગ્રંથો ઉપરાંત સંપાદન અને અનુવાદ જેવાં સાહિત્યસ્વરૂપો અને પ્રકાર-ક્ષેત્રોનાં ૮૦ પુસ્તકો આપ્યાં છે. તેમની કાવ્યસૃષ્ટિ ગાંધીભાવનાથી તરબોળ છે તો રશિયાની ક્રાંતિને ય અપનાવે છે. તેમની મુખ્યત્વે પ્રણયલક્ષી વાર્તાઓમાં સામ્યવાદનો પ્રત્યક્ષ-પરોક્ષ પ્રભાવ જોવા મળે છે. તોલ્સટોય, દૂર્ગારામ વિશેના ચરિત્રો નોંધપાત્ર છે. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના વિભિન્ન વિષયોને આવરી લેતા ૨૬ ગ્રંથોનું સંપાદનકાર્ય જ્ઞાનકોશની ગરજ સારે છે. વિવેચનમાં તેમની સર્વાશ્લેષી અભ્યાસદૃષ્ટિ તો અભ્યાસલેખોમાં ગાંધી-માર્કસ મીમાંસા ધ્યાન ખેંચે છે.

સૌજન્ય : gujaratisahityaparishad