જયંત સુખલાલ કોઠારી (૨૮-૧-૧૯૩૦): વિવેચક, સંપાદક. જન્મ
રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮માં મેટ્રિક. ૧૯૫૭માં
ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ. અને
૧૯૫૯માં એમ.એ. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટીક્સનો ડિપ્લોમા.
૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાન, સાથે સાથે રાજકોટમાં રેલવે ક્લેઈમ્સ એજન્ટ. ૧૯૫૯-૬૨માં
અમદાવાદની પ્રકાશ આર્ટસ કોલેજમાં અને ૧૯૬૨થી આજ સુધી ગુજરાત લૉ સોસાયટીની
કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્ય
કોશ’ના પ્રથમ ભાગ
સાથે સંલગ્ન.
સ્પષ્ટવક્તા વિવેચક તેમ જ ખંતીલા – તંતીલા સંશોધક–સંપાદક તરીકે
જાણીતા છે. તેમણે પ્રત્યક્ષ કૃતિવિવેચનથી માંડીને સિદ્ધાંતવિવેચન દ્વારા એક જાગ્રત
પ્રહરીની ભૂમિકા ભજવી છે. એમનું વિવેચનકાર્ય મુખ્યત્વે તો વિવેચનપ્રવાહોને અને
વિવેચનગ્રંથોને તપાસવાનું એટલે કે વિવેચનનું વિવેચન કરવાનું રહ્યું છે.
પ્રત્યેકમાં તેમની ઊંડી નિસબત, નિજી શૈલી અને નખશિખ સજ્જનતાની છાપ અંકિત થયેલી છે. આ
ઉપરાંત સાહિત્યવિવેચનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોની તર્કશુદ્ધ, ચોકસાઈભરી અને
વિશદ છણાવટ તેઓ કરે છે. મધ્યકાલીન સાહિત્ય હોય કે આધુનિક સાહિત્ય – વિદ્યાર્થીને પણ
સરળતાથી સમજાય તેવી ભાષાને કારણે વિવેચનલેખો રસાળ બને છે.
સૌજન્ય : gujaratisahityaparishad
