ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, ‘ઈશ્વર પેટલીકર’ (૯-૫-૧૯૧૬, ૨૨-૧૧-૧૯૮૩):
નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ
ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને
સોજિત્રામાં. ૧૯૩૫માં મેટ્રિક. વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ
પદની પદવી મેળવી. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને
સાહિત્યસર્જનનો આરંભ. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન. ‘લોકનાદ’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરે
પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો ઉપર નિયમિત કટારલેખન. ૧૯૬૦થી
અમદાવાદમાં સ્થાયી નિવાસ. પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં
ઉત્તરોત્તર વધુ સક્રિય. ૧૯૬૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં હૃદયરોગના હુમલાથી
અવસાન.
નવલકથા તેમ જ ટૂંકી વાર્તાક્ષેત્રે તેમનું મહત્ત્વનું
પ્રદાન છે. ગ્રામીણસમાજને એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને
ટૂંકી વાર્તાઓમાં જીવનનો વિશાળ અનુભવ, વૈવિધ્યભર્યાં પાત્રો અને પ્રસંગો, પાત્રોનું
મનોવિશ્લેષણ, ગામડાની લોકબોલી, કહેવતો અને
રૂઢિપ્રયોગોનો ઉચિત ઉપયોગ વગેરેને કારણે એમનું કથાસાહિત્ય હૃદ્ય અને લોકપ્રિય
બન્યું છે. ‘જન્મટીપ’ નવલકથા અને ‘લોહીની સગાઈ’ ટૂંકી વાર્તાના
લેખક તરીક જાણીતા છે.
સૌજન્ય : gujaratisahityaparishad
