કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, ‘જિપ્સી’ (૧૭-૧૧-૧૯૦૪, ૧-૧૨-૧૯૭૯):
નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. જન્મ
વડોદરામાં. મૂળ વતન સુરત જિલ્લામાં સચીન પાસેનું ભાંજ. વડોદરા, ગૂજરાત વિદ્યાપીઠ
અને શાંતિનિકેતનમાં શિક્ષણ. થોડો સમય ફેલોશિપ હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષક.
એમણે રાજા-મહારાજાઓના એડીસી, અંગત મદદનીશ તરીકે કામ કર્યું છે. ૧૯૨૭-૨૮માં પોંડિચેરી
આશ્રમમાં. ૧૯૪૮માં અમેરિકામાં પિટર્સબર્ગ કાર્નેગી ઈન્સ્ટિટ્યુટ ઑવ ટેકનોલોજીમાં છ
મહિના માટે પ્રિન્ટિંગ પ્લાન્ટ મેનેજમેન્ટનો કોર્સ. વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ની સ્થાપના. ‘ક્ષત્રિય’ના તંત્રી. ‘નવગુજરાત’ના સહતંત્રી.
નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. ૧૯૬૦થી અલમોડા પાસે મીરતોલા આશ્રમમાં નિવાસ.
ગુજરાતી ગદ્યને આગવી રીતે જોડનારા નિબંધકારોમાં તેમનું
ચોક્કસ સ્થાન છે. જીવનમાંગલ્યની સાધના કરનારા મનુષ્યોનાં ભાવસભર ચરિત્રો અને
ચિત્રાત્મક શૈલી તેમના નિબંધોની વિશેષતા છે. ‘અમાસના તારા’, ‘જિપ્સીની આંખે’ નિબંધસંગ્રહોના નિબંધો આ દૃષ્ટિએ નોંધપાત્ર છે.
સૌજન્ય : gujaratisahityaparishad
