દલસુખ ડાહ્યાભાઈ માલવણિયા (૨૨-૭-૧૯૧૦):
ઇતિહાસ-સંશોધક, સંપાદક. જન્મ
સાયલા (જિ.સુરેન્દ્રનગર)માં. સાયલામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થાય તે પહેલાં
પિતાજીનું અવસાન. જયપુર, બ્યાવર વગેરે
સ્થળે જૈન ગુરુકુળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ મેળવી. પંડિત બેચરદાસ દોશી પાસે
સંસ્કૃત, પ્રાકૃત
વ્યાકરણશાસ્ત્રનો અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ. ૧૯૩૨માં શાંતિનિકેતન જઈ
પાલી ભાષા તથા બૌધ્ધદર્શનનો અભ્યાસ. અહીં મુનિશ્રી જિનવિજયજી સાથે સંપર્કમાં આવતાં
એમના ગંભીર અધ્યયનને નવું બળ મળ્યું. ૧૯૩૪થી સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’, મુંબઈમાં. ૧૯૩૮થી
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત સુખલાલજીના વાચક અને પાછળથી ત્યાં જ ‘જૈનચેર’ના પ્રોફેસર.
૧૯૫૯થી લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના નિયામક. ૧૯૭૬માં નિવૃત્ત. બનારસ, દિલ્હી, મુંબઈ, ઈન્દોર તથા
ઉજ્જૈન યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તેમ જ કેનેડાની
ટોરોન્ટ યુનિવર્સિટી, બર્લિનની ફ્રી
યુનિવર્સિટી અને પેરીસ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક. ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય
પરિષદના પોરબંદરમાં મળેલા અધિવેશનમાં સંશોધનવિભાગના અધ્યક્ષ. ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક.
દર્શનશાસ્ત્રમાં, ખાસ કરીને જૈનદર્શન પરત્વે આ લેખકનું પ્રદાન
નોંધપાત્ર છે. એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સંપાદન, સંશોધન, નિબંધાદિ ગ્રંથો
લખ્યા છે તેમ જ અનેક વિદ્વતાપૂર્ણ સંપાદનો તેમ જ શ્રદ્ધેય અનુવાદો મળ્યા છે.
સૌજન્ય : gujaratisahityaparishad
