.
બાલમુકુન્દ મણિશંકર દવે (૭-૩-૧૯૧૬, ૨૮-૨-૧૯૯૩): કવિ.
જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે
મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં.
મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ
કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા.
ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું. ૧૯૪૯માં
કુમારચન્દ્રક.
બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના
પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ
વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો
છે. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ
મુખ્ય કવનવિષયો છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને
મનોહારિતા આપે છે.
સૌજન્ય : gujaratisahityaparishad
