Republic Day - 2019

03 January 2019

ચંદ્રકાંત શેઠ


 ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ, ‘નંદ સામવેદી’ (૩-૨-૧૯૩૮): કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ કાલોલ (પંચમહાલ)માં. વતન ઠાસરા (જિ.ખેડા). ૧૯૫૪માં મેટ્રિક. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૯માં ઉમાશંકર જોશી સર્જક અને વિવેચકવિષય પર ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧-૬૨માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક. ૧૯૬૨-૬૩માં કપડવંજ કૉલેજમાં, ૧૯૬૩થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬થી ૧૯૭૨ સુધી ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાં અને ૧૯૭૨થી ૧૯૭૯ સુધી પુન: ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને વિભાગ-અધ્યક્ષ. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાયમંદિરમાં નિયામક. પાછા ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૯૮માં નિવૃત્ત. ૧-૩-૯૮થી વિશ્વકોશમાં જોડાયા. હાલ ગુજરાત વિશ્વકોશમાં સંપાદન - સહાય. ૧૯૬૪માં કુમારચંદ્રક. નર્મદચંદ્રક વિજેતા. ૧૯૮૪-૮૫નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ.

કવિ, નિબંધકાર, વિવેચક તરીકે તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. કવિતામાં સંવેદન અને અભિવ્યક્તિ પરત્વે આધુનિક મિજાજ દાખવે છે. નિબંધોમાં પણ તેમની આગવી મુદ્રા જોઈ શકાય છે. વિવેચનમાં તેમનો અભિગમ આસ્વાદાત્મક છે. તેને કારણે કોઈ પણ કૃતિ વિશેની ચર્ચા રસાળ બને છે. તેમની પાસેથી સંપાદનો અને અનુવાદો પણ મળે છે.
  સૌજન્ય : gujaratisahityaparishad