દિગીશ નાનુભાઈ મહેતા (૧૨-૭-૧૯૩૪, ૪-૫-૧૯૯૧):
નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ
પાટણમાં. પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ
સિદ્ધપુરમાં. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૮માં યુનિવર્સિટી
ઑવ લિડ્સમાંથી એમ.એ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના
પ્રાધ્યાપક અને ત્યાંથી જ નિવૃત્ત.
પ્રયોગશીલ નવલકથાકાર, નિબંધકાર તેમ જ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે.
પ્રણયકથાને અરૂઢ સ્વરૂપે રજૂ કરતી તેમની નવલકથાઓ જીવનના અનેક મર્મોને, હાસ્ય-મજાકની
વિલક્ષણ શૈલી વડે લીલયા ઉદઘાટિત કરે છે. નિબંધમાં વસ્તુ કે પાત્રને ચિત્રાત્મક
ઉઠાવ આપવાની શક્તિ તેમનામાં છે. તો એમના વિવેચનોમાં પણ એમની અભ્યાસનિષ્ઠા અને નિજી
દૃષ્ટિનો પરિચય થાય છે.
સૌજન્ય : gujaratisahityaparishad
