Republic Day - 2019

03 January 2019

જ્યોતીન્દ્ર દવે



 જ્યોતીન્દ્ર હરિશંકર દવે (૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦): હાસ્ય નિબંધકાર. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મેટ્રિક. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૨૫માં એમ.એ. ૧૯૨૬-૩૩ દરમિયાન મુંબઈમાં ક.મા.મુનશી સાથે રહી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં જોડાયા અને ગુજરાતમાસિકના ઉપતંત્રી બન્યા. વચ્ચે થોડો સમય મુનશી જેલમાં જતાં પોતે મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૧૯૩૩-૩૭ દરમિયાન સુરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૭માં મુનશીના આગ્રહથી ફરી પાછા મુંબઈમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં પહેલાં ભાષાંતરકાર અને પછી મુખ્ય ભાષાંતરકાર. ૧૯૫૬માં ત્યાંથી નિવૃત્ત થઈ મુંબઈની કેટલીક કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે માંડવી (કચ્છ)ની કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય. ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.

તેઓ ગુજરાતી હાસ્યસાહિત્યના મૂર્ધન્ય સર્જક છે. સાહિત્ય, કેળવણી, સામાજિક રાજકીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈપણ બાબત લેખકના હાસ્યનું લક્ષ્ય બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દૃષ્ટિ ને બહુશ્રુતતાને કારણે એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકારે હાસ્ય નિષ્પન્ન કરે છે.

સૌજન્ય : gujaratisahityaparishad