શિવકુમાર ગિરિજાશંકર જોશી (૧૬-૧૧-૧૯૧૬, ૪-૭-૧૯૮૮):
નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ
અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૩માં મેટ્રિક. ૧૯૩૭માં
ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી
સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૭થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કાપડનો
વ્યવસાય. ૧૯૫૮થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી
પ્રવૃત્તિઓમાં સક્રિય. ૧૯૫૨માં કુમારચંદ્રક. ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૦માં રણજિતરામ
સુવર્ણચંદ્રક.
કલકત્તાનો બંગાળી સમાજ અને તત્કાલીન રાજકીય – સામાજિક
સમસ્યાઓની પાર્શ્વભૂમાં સતત સંઘર્ષ કરતા વિચારશીલ પાત્રોનું આલેખન તેમની નવલકથાઓની
વિશેષતા છે. પ્રવાહી અને પ્રાસાદિક શૈલી ધરાવતી આ નવલકથાઓ લોકપ્રિય બની છે. રંગમંચ
પર સફળ રીતે ભજવી શકાય તેવા એકાંકી – નાટકો અને પ્રવાસકથા નોંધપાત્ર છે.
સૌજન્ય : gujaratisahityaparishad
