Republic Day - 2019

03 January 2019

કરસનદાસ માણેક



 કરસનદાસ નરસિંહ માણેક, ‘વૈશંપાયન’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ડેઈલી મિરરનામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯થી જન્મભૂમિના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી. ૧૯૫૦માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧થી સારથિસાપ્તાહિક અને પછી નચિકેતામાસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન.

મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. વૈશંપાયનની વાણીના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે જન્મભૂમિમાં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં.

 સૌજન્ય : gujaratisahityaparishad