સુંદરજી ગોકળદાસ બેટાઈ, ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’ (૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯): કવિ, વિવેચક. જન્મ વતન
જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ
યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલ.એલ.બી., ૧૯૩૬માં
ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિન્દુસ્તાન’ ને ‘પ્રજામિત્ર’માં સબએડિટર, ચારપાંચ વર્ષ
મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી નિવૃત્તિપર્યંત મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ
કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ઈન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા.
મુંબઈમાં અવસાન.
ગાંધીયુગના પ્રશિષ્ટ પરંપરાના ગણનાપાત્ર કવિ તરીકે સુખ્યાત
છે. તેમની કાવ્યસૃષ્ટિમાં સંવાદ અને સમાધાનમાં ઊંડી આસ્થા, સ્વસ્થ ચિંતન અને
ગંભીર જીવનદર્શન જોઈ શકાય છે. તેમણે ખંડકાવ્ય, દીર્ઘકાવ્ય, સોનેટ, ગીત, મુક્તક વગેરે પ્રકારોમાં સર્જન કર્યું છે.
અનુષ્ટૂપ તેમનો પ્રિય છંદ છે જેને કવિ અવારનાર ને સહજ રીતે પ્રયોજે છે. સંસ્કૃત
શબ્દો અને સમાસોનું પ્રાચુર્ય તેમની કાવ્યબાનીનું ધ્યાન ખેંચતું લક્ષણ છે.
સૌજન્ય : gujaratisahityaparishad
